આઝાદીની સાથે અંગ્રેજોએ વિકસાવેલું મહેસુલીતંત્ર અને પોલીસતંત્ર વિગેરે મુખ્ય વહીવટી બાબતો આપણને મળેલ હતી પરંતુ વિકાસ, વહીવટ માટે કોઇ ચોકકસ તંત્ર મળેલ ન હતું. એ સંજોગોમાં સામુહિક વિકાસ યોજનાનું ગઠન કેન્દ્ર સરકાર ધ્વારા કરવામાં આવ્યું. અને આ યોજના ધ્વારા સામુહિક વિકાસ ના કાર્યોની શરુઆત કરવામાં આવી પરંતુ આ યોજનામાં લોકોનો સહકાર નહીવત મળતો હતો. તેના કારણે સફળતાનો આંક ખૂબ જ નીચો રહયો હતો. એ સંજોગોમાં રાષ્ટ્રીય આયોજન મંડળ ધ્વારા માનનીય સ્વ બળવંતરાય મહેતાના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિના મુખ્ય ઉદેશમાં વિકાસની પ્રક્રિયામાં લોકોની સામેલગીરી વધારે ને વધારે થાય તે માટે કોઇ તંત્રનો વિચાર કરવાનો હતો તથા લોકશાહીનો વિકેંદ્રીકરણ થાય તેવી કોઇક યોજનાની ભલામણ કરવાની હતી. ડીસેમ્બર ૧૯૫૭ માં શ્રી સ્વ. બળવંતરાય મહેતા ધ્વારા જે અહેવાલ રજુ કરવામાં આવ્યો તેમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પધ્ધતિની ભલામણ કરવામાં આવી હતી. ૧.૪.૧૯૬૩ થી ગુજરાત રાજયમાં સ્વ.બળવંતરાય મહેતા ધ્વારા સૂચવાયેલ ત્રિસ્તરીય પંચાયત રાજ પધ્ધિતિ અમલમાં આવી છે.